Thursday, January 19, 2012

વાંઝણા સેવા સહકારી મંડળીના તમામ ૧૧ ડિરેકટરો બિનહરીફ વરાયા બાદ ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા ગુરુવારે હાથ ધરાઈ હતી. ચેરમેન તરીકે ઘેલાભાઈ પટેલ સતત ૩૫મી વખત બિનહરીફ વરાયા, જ્યારે વાઈસ ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ હતી.

ચીખલી તાલુકાની અગ્રણ્ય સેવા સહકારી મંડળી વાંઝણાની બોર્ડ ઓફ ડિરેકટર્સની ૧૧ બેઠક ખાલી પડતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ૧૧ બેઠક માટે ૧૧ ઉમેદવારીપત્રકો ભરાયા હતા. જેમાં ઘેલાભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, રતિલાલ પટેલ, ભીખુભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ, નાનુભાઈ આહીર, નાથુભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, વલ્લભભાઈ રાઠોડ, મિતેશકુમાર પટેલ, સુમનભાઈ પટેલ બિનહરીફ વરાયેલા જાહેર થયા હતા.

ગુરુવારે મળેલી સભામાં પ્રમુખના ઉમેદવાર ઘેલાભાઈની દરખાસ્ત વલ્લભભાઈ રાઠોડે મુકી તેને નાથુભાઈ પટેલે ટેકો જાહેર કર્યો હતો. ઉપપ્રમુખપદે રાજેન્દ્રભાઈ પટેલના નામની દરખાસ્ત ભીખુભાઈ પટેલે કરી અને ટેકો નાનુભાઈ આહીરે આપતા બીજી કોઈ ઉમેદવારી ન આવતા ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ઘેલાભાઈને પ્રમુખ તરીકે વરાતા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


Sept 2011